જય શ્રીકૃષ્ણ અને રાધાકૃષ્ણ મિત્રો,
હા આજે બંને સંબોધન સાથે છે કારણકે આજનો દિન જ ખાસ છે અને આ દિન માટે ભલે આ પોસ્ટ લખીને મેં તૈયાર કરી પણ તેમાં હિતેશ‘વિશ‘ના સૂચનો અને માર્ગદર્શન ખુબ જ છે તથા આ પોસ્ટ માટેની માહિતી આપવા માટે વિતલબેન પટેલનો પણ ખુબ ખુબ આભાર.
તમને થતું હશે કે રિયાલિટી કાર્યક્રમની જેમ “મન” આજે આજના દિન વિશે બહું રહસ્ય પેદા કરે છે અને દિલના ધબકારા વધારી,શ્વાસ થંભાવે છે.ના બાબા ના હું બહું રાહ નહી જોવડાવું.તો આજે છે ૧૬મી જૂન.અને આજે છે મનનો વિશ્વાસ પર જે કવિની રચના અવારનવાર પ્રસંગાનુસાર રજું થતી રહે છે તેવા કવિ શ્રી રમેશભાઈ પટેલ‘આકાશદીપ‘નો જન્મદિવસ.તો આજના દિને તેમને એક સરપ્રાઈઝ આપવા માટે તેમની દીકરી વિતલબેન પટેલે વિશને ઈ–મેલ દ્વારા જાણ કરી આનું આગોતરું આયોજન કર્યું હતું અને જે વાત યાદ કરીને વિશે મને કહી કે “મન” આ દિન પર આ પોસ્ટ જરૂર મુકજે.તો વિતલબેન તથા તેમના ઘરના સમગ્ર પરિવારજનો તથા મારા અને વિશ અને અમારા પરિવાર તથા સમગ્ર બ્લોગર મિત્રો તથા વડીલો તરફથી રમેશભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.
ચાલો આજે તેમના વિશેની થોડી વાતો મમળાવીએ.અને યાદોને તાજી કરીએ.મને યાદ છે કે જ્યારે વિશે ૭મી સપ્ટેમ્બરે શ્રી બોટાદકરની પુણ્યતિથિ પર વિધવા પરની રચના મુકેલી અને ૧૨મી તારીખે સૌ પ્રથમ વાર રમેશભાઈની તેના પર કોમેન્ટ આવેલી અને આ સાથે તેમણે તેમની રચના મમતાના મોલ પણ આપેલી.આ હતી તેમની વિશની અને પરોક્ષ રીતે મારી અને આ મનનો વિશ્વાસ બ્લોગ સાથેની તેમની પ્રથમ મુલાકાત.અને તેમના આ પ્રેમ બદલ તેમને માન આપતા તેમની આ રચના ૧૪મી સપ્ટેમ્બરે જ બ્લોગ પર રજું કરી અને ત્યાર બાદ તો તેઓ સમયાંતરે તેમની પ્રસંગોપાત રચેલ રચનાઓ કે નવી રચના બનાવી મોકલતા રહ્યા અને તેમની કૃતિઓએ અહીં એક અજોડ સ્થાન જમાવી દીધું છે અને મનનો વિશ્વાસને જાણતા દરેક મિત્રો/વડીલો તેમને અચૂક જાણતા જ હશે.અને બસ આમ તો ઉંમરમાં તેઓ વડીલ હોવા છતા તેમની સાથે મિત્રતાનો એક દોર બંધાઈ ગયો.
આવા રમેશભાઈ પટેલનો જન્મ ૧૬મી જૂન ૧૯૪૮ના રોજ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મહીસા ગામે થયેલો.અને પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં ઈલેક્ટ્રીકલ એન્જીનિયર બની ગુજરાત વિદ્યુત નિગમમાં પોતાની સેવા આપી.અને સવિતાબેન સાથે ૧૯મી મે ૧૯૭૧ના રોજ પ્રભુતામાં પગલા પાડ્યા.અને તેમના જીવનના ઝરમરની માહિતી જાણવી હોય તો સુરેશભાઈ જાનીદાદાના બ્લોગ ગુજરાતી સારસ્વત પરિચયની મુલાકાત જરૂરથી લેજો.
વળી તેમના કાવ્યસંગ્રહ– સ્પંદન, ઉપાસના, ત્રિપથગા ગુજરાત જ નહી દેશવિદેશમાં ખુબ જ લોકચાહના પામ્યા છે.અને આદરણીય મેઘાવી સાહિત્યકાર શ્રી દોલતભાઇ ભટ્ટ ના હસ્તે કવિશ્રીના આ ત્રણ કાવ્યસંગ્રહોનું વિમોચન થયું અને ગુજરાતી સાહિત્ય જગત સાથે તેમનો સ્નેહનો સેતુ રચાઈ ગયો.આ પ્રસંગે શ્રી દોલતભાઈ ભટ્ટે તેમને બિરદાવતા કહેલું કે,
“‘વાગે રણભેરી‘ જેવી વતન પ્રેમની કૃતિઓમાં જે શૌર્યનો રસપાન કરાવવાનો પ્રબળ પુરુષાર્થ કરી ,શબ્દ ગૂંથણી કરી છે,તે કેટલેક અંશે સિધ્ધિના શિખર સર કરેછે. કુદરત તત્વને પારખવાની અને પરખાવવાની પરખ કવિ આકાશદીપ હેસિયત ધરાવે છે અને કાવ્ય કૃતિને અમરત્વ બક્ષે છે.રામાયણના મહાન પાત્ર શ્રી હનુમાનજીના પરાક્રમોનું વર્ણન કરતી રચનામાં કિષકિંધાથી લંકાના મેદાનમાં મંડાયેલા રણ સંગ્રામના પ્રસંગોમાં રહેલી ભૂમિકાનું સુપેરે વર્ણન થયું છે જે રુચિકર અને ભક્તિથી ભાવ વિભોર કરનારું છે.”
વળી તેમના ત્રિપથગા કાવ્યસંગ્રહને આવકારતા આપણા રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી આભૂષિત મહાન સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી કહે છે કે
“રમેશભાઇને ઈજનેર તરીકેની કામગીરીના ભાગ તરીકે પ્રવાસ દરમિયાન પ્રકૃતિનું સાહચર્ય સાંપડ્યું છે.એમાંથી જાગેલી લાગણીઓ ધરતી–આભને જોડેછે.જે વિવિધ રચનાઓમાં છંદ–લયના વૈવિધ્ય સાથે રજુ થાય છે.એમની કેટલીક ગેય રચનાઓ લોકગીતની સ્ફૂર્તિ ધરાવે છે.જીવનની કેટલીક ક્ષણો આ ઉમદા પ્રવૃતિ માટે સમર્પિત કરવા બદલ એમને અભિનંદન અને શુભેચ્છા.”
વળી હનુમાનજીનું હાલરડું અને વીર અભિમન્યુ જેવા પૌરાણિક પાત્રોને જીવંત કરતા હોય, મમતાના મોલ કે જેમાં મા પ્રત્યેનો પ્રેમ હોય, વ્હાલી દિકરી માં એક બાપની વેદના જેણે ઘણાને રડાવ્યા,કે પછી ભાભી તમે થોડા થોડા થાજો ગામડાના ગોરી જેવા લોકગીત હોય કે પ્રકૃતિ પરની રચનાઓ હોય કે વાગે રણભેરી અને શોધવા છે બાપું જેવી દેશપ્રેમની રચનાઓ હોય.તેમણે દરેક કાવ્યરસનું સુપેરે આપણને રસપાન કરાવ્યું છે.અને તેમની રચનાઓની યાદી તો અહીં શક્ય જ નથી.તેમ છતાં આપ તેમની વિવિધ રચનાઓ અહીં કવિવરમાં તેમના નામ પર જવાથી કે કવિલોક,રીડ ગુજરાતી , મેઘધનુષ, કાવ્યસુર અને બીનાબેનના વેબબ્લોગ તથા અન્ય બ્લોગ પર આપ તેમની રચનાઓની વિશાળ શ્રેણી માણી શકશો.અને તે રચનાઓ પરની કોમેન્ટ પરથી આપ જોઈ શક્શો કે દરેક કાવ્યરસિક મિત્રોની તેમણે ખુબ લોકચાહના પ્રાપ્ત કરી છે અને તેમના દિલને તેમની રચનાઓ સ્પર્શી છે.
તો ચાલો આજે તેમના જન્મદિન પર તેમની જ આ રચના કે જે એક સુંદર ખંડકાવ્ય કહી શકાય તેવી મહાભારતના એક વીર યોદ્ધા અભિમન્યુની ચિરસ્મરણીય ઘટના યાદ અપાવે છે તે આપણા રમેશભાઈ ‘આકાશદીપ‘ને ભેટ સ્વરૂપે અર્પણ કરું છું.આશા છે આપ સર્વેને પણ તે માણવી ગમશે.અને આપ સર્વે તેમને શુભકામનાઓ પાઠવશો
( અહીં તસવીરમાં રમેશભાઈ તેમના પત્ની સવિતાબેન તથા દીકરી વિતલબેન અને દોહિત્ર આદી અને રોહન સાથે દ્રષ્ટિગોચર થાય છે.ફોટા માટે વિતલબેનનો આભાર.)
યુગવર્તી મહાવીરોથી શોભે ભવ્ય ભારત ખંડ
ગાયે ગાથા આ રણભૂમિ ધરી ધરી આનંદ
સુણે સુભદ્રા શ્રીકૃષ્ણ મુખે મહા સાહસોના રંગ
ગર્ભમાં ઝીલી સંસ્કાર યુધ્ધના હરખે અંગે અંગ
ઝૂલે પારણે લાલો વહાલો , વીર પાર્થનો પ્યાર
વદને ચમકે ક્ષાત્ર તેજનો કસુંબલ પુંજ અપાર
હલાવે ભૂજા જાણે આવ્યો સાહસનો અવતાર
રમતો ઊછળી સુભદ્રાનો સિંહ અભિમન્યુ બાળ
યુધ્ધ અભ્યાસે કૌશલ્યથી શીખતો સઘળા દાવ
ગગન ગજવતો પરાક્રમે જાણે સિંહ સંતાન
રથ ને ગજ લઈ ઘૂમતો અતિ વિકટ વનવાટ
પાંડવ યદુકુળ અંશને દિઠો સાહસનો સમ્રાટ
ચઢીશ રણે કંપાવીશ યુધ્ધે, દસે દિશાએ શત્રુઓના હીર
સોળ વરસનો મરદ મૂછાળો, થનગને અભિમન્યુ વીર
કુરુક્ષેત્રે મંડાણું મહાભારતને, યુધ્ધે વરસે ઈર્ષાની આગ
મહારથીઓના જંગે છલકે ધરાએ લાલ રક્તની ધાર
વીરગતિથી અમર થવાની જાણે લાગી હોડાહોડ
ગુરુ ઢ્રોણે યુધ્ધે સંભાળી કૌરવ સેનાની દોર
શત્રુ સેના હણવા હાલ્યો, અર્જુન યુધ્ધે અંતરાળ
સમય પારખી ઢ્રોણે રચીઓ વિકટ ચક્રવ્યૂહનો દાવ
પાંડવ સભા થઈ ક્ષોભિત , સોચે કોને સોંપવું સુકાન
ચક્રવ્યૂહ ભેદવા ,બીડું ઝડપવા ઉભો થાય અભિ બાળ
યુધિઠિર વદે, તું સોળ વરસનો નટખાટ રાજકુમાર
અસ્ત્ર શસ્ત્ર ને પ્રપંચીઓને ના સમજે તું બાળ
છું પાંડવ ને પાંડવ પક્ષને કેમ દેખું લાચાર
રણે ચઢવું ને શાને રાખવો ભયનો રે ઓથાર
માતા સુભદ્રાના ઉરમાં ભણ્યો હું છ કોઠાનો ભેદ
સાતમે કોઠે હોય કાકા ભીમ, પછી શાને કરવો ખેદ
રણભૂમિ પણ જોશે કાલે, વીર અભિમન્યુનું શૌર્ય
જીવવું તો રણશૂરા થઈ જીવવું, યુધ્ધ એજ કૌશલ્ય
રથી મહારથી શંખ ધ્વનિથી રણે પાયે પોરસ નીર
દસે દિશાથી યુધ્ધ ભૂમિમાં , ઉતરી આવ્યા વીર
ગુરુ ઢ્રોણે રચ્યો વિકટ ચક્રવ્યૂહ કુરુક્ષેત્ર મેદાન
ક્રુપાચાર્ય ,શલ્ય ને અશ્વત્થામા આવી ઉભા થઈ દીવાલ
કર્ણ ને દુર્યોધન મલકે, પાંડવ માટે લડશે શું આ બાળ?
યુધિષ્ઠિરને પકડી આજે, પાંડવોને દઈએ બીજો વનવાસ
આવ્યો મરદ મૂછાળો ,સજી હથિયારો, અભિમન્યુ રણ મેદાન
કુરુક્ષેત્રે ગરજે રથી મહારથી ને કાળ કરે અટ્ટહાસ્ય
કૌરવ પાંડવ સાગર સેનાઓ , ગજવે શંખ ધ્વનિ આકાશ
વીરલાની વીર ભૂજાઓ, બળ કળથી રમાડે હાથીઓની હાર
સોળ વરસનો દૂધમલીઓ ,રથે ચઢી રણે આવ્યો રણવીર
વળ પાછો, વદે ઢ્રોણ, યુધિષ્ઠિરને કર આગળ ઓ ધીર
ધન ધનાધન છૂટશે તીરો ,વરસશે આકાશેથી મહા આગ
થશે નાલેશી ધર્મરાજની , ના જાણે બાળ તેનો તું તાગ
વીર અભિમન્યુ વદે, છું લાલ યદુવંશ, પાંડવ પાર્થનો પ્રાણ
મહાભારતે જોજો વીરોને માપતા આ અભિના એકએક બાણ
બીડું ઝડપ્યું ભર સભાએ, નહીં પડવા દઉં વીરોની શાન
થઈ પ્રલયંકર,રણભૂમિ રમાડતો થઈશ રણકેસરી વનરાજ
મુખ દ્વારે ઉભા ઢ્રોણ , ચઢાવતા પોરસ કરતા રે શંખનાદ
અસ્ત્ર શસ્ત્ર લઈ દોડે લડવૈયા, ગજવી પ્રત્યંચાથી અંબર આણ
ગાજ્યું ગગન ને ધરણી ધ્રુજી, લોહનાં બખ્તર વીંધતાં છૂટે બાણ
ધસ્યો અભિમન્યુ લઈ લશ્કર,વરસાવતો વાવાઝોડું અમાપ
ઊડે ગગને ગોટેગોટા ,ઢ્રોણના વીખરાયા વાળ ને સેના
ધોળામાં ધૂળ નાખી ધમરોળે અભિ, ને ઢ્રોણ દિસે લાચાર
પાર્થનો પ્રતાપી બાળ ભાણ,
કંપાવે શત્રુ લઈ ફણીધર આણ
પ્રથમ કોઠે કરી જીત હુંકાર
અભિમન્યું રણે રમે લઈ ધનુષ્યને બાણ
આવ્યા કૃપાચાર્ય કરી ટંકાર, રોકવા રણમેદાને અભિમન્યુ બાળ
છોડી સહસ્ત્ર તીર ગગને , મહારથીએ ગૂંથી બાણોની જાળ
અભિ તાંડવ રુપધરી ત્રાટક્યો, શત્રુઓને રગદોળે રણની વાટ
તૂટી ધજા, હણાયા અશ્વ સારથિ, માનભંગ કૃપાચાર્ય બચાવે પ્રાણ
બીજે કોઠે કરી જીત હુંકાર
અભિમન્યુ રણે રમે લઈ ધનુષ્યને બાણ
ગુરુ પુત્ર અશ્વત્થામા ને શલ્ય, કોઠા યુધ્ધે ખીલ્યા થઈ મહાન
અભિમન્યુના પરાક્રમ આગળ,ઝાંખા પડીઆ એસૌ વીરોનાં હામ
તૂટ્યાં બખ્તર,ચૂભ્યાં તીર ને સેના થઈ વિહ્વળ પડ્યું ભંગાણ
બચવું હોયતો ઘાયલ છોડો મેદાન
અભિમન્યુ રણે રમે લઈ ધનુષ્યને બાણ
સૂર્યસમ ક્રાંતિ, દુર્યોધન મિત્ર, આવ્યો કર્ણ કરતો મહા ટંકાર
આાવ સામે થઈ જાય પરીક્ષા, ત્યાં તો પ્રત્યંચાથી અભિ દે હુંકાર
અસ્ત્રશસ્ત્રથી ગાજ્યું અંબર , જાણે સંગ્રામે ડણકે સાવજ ઝૂંડ
પ્રતિપક્ષો લડે, ઊછળે શૌર્ય, ભભૂકતી આંખે હાથી ઉચકે સૂંઢ
વાહ લડવૈયા, બાહુ બડવૈયા, અભિમન્યુ પરાક્રમે ગાંજ્યો ના જાય
કર્ણ વિચારે કયા શસ્ત્રથી તોલું,ત્યાંતો લાગ્યું છાતીએ અભિનું બાણ
અરે દૂધમલીયા, લાગે સાક્ષાત અર્જુન, શૌર્યમાં દિસે સવાયો સૂત
ધન્ય ધન્ય અભિમન્યુ વીર, કહેતાં ઢળ્યો મૂર્છાએ સૂર્યનો પૂત
દેખ દુર્યોધન,કર્ણનો ભાઈ ગયો યમ સદન,ને દુઃશાનને શોધે મારાં તીર
વિશાળ સેનાને રગદોળતો, આજ રણે રમે ધનુષ્ય લઈ અભિમન્યુ વીર
દુર્યોધન કપટી ગર્વીલો તીખો જુએ અભિમન્યુને વાળતો દાટ
કૌરવોના મહારથીઓને મહાત કરી ગયો,આ સોળ વરસનો બાળ
સમરી શ્રીકૃષ્ણ વરસાવે અભિમન્યુ આકાશે અગન બાણ
ઢળે ધરણીએ સૈન્ય, જાણે પાનખરમાં ખરે વૃક્ષનાં પાન
દુર્યોધન થઈ ડંખીલો , ખેલે રણે અવળા સવળા દાવ
અભિમન્યુના બાણે ઘાયલ થઈને લપાણો કૌરવોનો તાજ
એકલ વીર ,સાતમે કોઠે જુએ વીર ભીમસેનની રાહ
પણ ઢ્રોણે ભીડ્યાં દ્વાર ને , જયઢ્રથ રોકી ઉભો રાહ
પરાક્રમી અભિમન્યુ શૌર્યથી, કૃતવર્મા બૃહદલને દેતો ઘાવ
હારેલા અધર્મી મહારથીઓ ભેગા થઈ, ઘેરી વળતા બાળ
જો હો શૂરવીર ને યોધ્ધાની શાન,આવો એક એક થઈ વીર
છટ કોણે કીધા મહારથી ,અધર્મી થઈ સાથે ચલાવો તીર
ઢ્રોણ ,અશ્વત્થામા ને કર્ણ આજે કાયર થઈ કરતા વાર
ચઢ્યું યુધ્ધે આજ પોરસ એવું, અભિમન્યુ દિસે વિકરાળ
હશે હાથમાં ધનુષ્યને બાણ, યુધ્ધમાં નહીં જીતવા દે આ શૂરવીર
દુર્યોધન કહે મારો સારથિ,ઉતારી ભૂમિએ પછી, તાકજો તાતા તીર
પડ્યો સારથિ, પણ તૂટી ના હામ, ગદા લઈ ઉતર્યો રણ મેદાન
ઢાળે શત્રુના ઢગલે ઢગલા, શોણિત ધારે કરે સ્નાન સિંહ સંતાન
ખડગ ઉઠાવી ઢાલ ધરતો , ઘૂમે અભિમન્યુ થઈ વનરાજ
શસ્ત્રો ખૂટ્યાં , તો ઉઠાવી રથ પૈડું કરતો શત્રુ પર વાર
ત્યાંતો દુઃશાસન પુત્રે દગાથી આવી, દિધો પૂઠેથી કારમો ઘાવ
પડતાં પડતાં કીધો શત્રુ પર વાર , પહોંચાડવા યમને ધામ
વદે અભિમન્યુ, નથી ઢળ્યો હું, ઢળી ગઈ છે કૌરવ તમારી લાજ
અધર્મી થઈ લડ્યા તમે,પણ કાલે નહીં છોડશે તમને મારો તાત
સોળ વરસના મરદ મૂછાળે, ઉતાર્યા અધર્મી મહારથીઓનાં અભિમાન
લડ્યો એક લડવૈયો અભિ મહાભારતે, ધરી રણવીરોની મહા શાન
યુગો યુગો સુધી કીર્તિ અજવાળશે,
રણશૂરા અભિમન્યુ તારું નામ
માપી મર્દાનગી તારી કુરુક્ષેત્રે
તું વીરનું રળી ગયો યશનામ
‘આકાશદીપ‘ કહે ઓ વીર અભિમન્યુ,
ફરીથી અમે જોઈ રહ્યા તારી વાટ
માગે મા ભોમ તવ સરીખા પરાક્રમી
જે રણે રમે લઈ શૂરવીરોની શાન