નવરાત્રિનો શુભારંભ… માનો “ગરબો”…..ડૉ.જગદીપ નાણાવટી

By Vishvas

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે આસો સુદ એકમ.આજથી સૌની વહાલી અને મા અંબાશક્તિની ઉપાસનાનું પર્વ એવી નવલી નવરાત્રિનો શુભારંભ.તો ચાલો મા આદ્યશક્તિની ઉપાસના કરતા પહેલા તેમની ગત વર્ષે રજુ કરેલ આરતી અને વિશ્વંભરી સ્તુતિનું પઠન પહેલા કરી લઈએ.

આજે છે ડો.જગદીપ નાણાવટીની એક વ્યંગ રચના જે આજના સમાજમાં પ્રવર્તી રહેલા નવરાત્રીના બહાના હેઠળ ચાલતી મોજમસ્તી તરફ ધ્યાન દોરે છે અને તેમની કલ્પના તો જુઓ કે માતાજીના ગરબામાં પડેલા કાણાં કદાચ આના તરફ જાણે આંગળી ચીંધી રહ્યા છે.તો મા જગદંબાને એક જ અરજ કે તેમના ભક્તોમાં રહેલા અવગુણો દૂર કરી તેઓ સદમાર્ગે ચાલે અને નવરાત્રીના ગરબા માત્ર મોજ કે શોખ ન રહેતા મા જગદંબાની ભક્તિનું પણ એક અભૂતપૂર્વ પર્વ બની રહે.તો ચાલો માણીએ આ રચના..આને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશોને.

રે માના ગરબામાં કેમ પડ્યા કાણાં

જાણે ગોળીઓથી હૈયા વિંધાણાં….રે માના ગરબામાં

પહેલી ગોળીએ માની આરતી પિંખાણીતી

ડીસ્કોના ઠેર ઠેર ગાણાં

બીજી ગોળીએ મૂકી ભક્તિને હોડમાં ને

શકુનીએ નાખ્યાતાં દાણા….રે માના ગરબામાં

ત્રીજી ગોળીએ લીધાં શ્રધ્ધાના પ્રાણ

જુઓ ઉભા લઈ ઝેર બધે રાણા

ચોથી ગોળીએ માના વાહન ચોરાયા

બધે બાઈકુનાં ફૂંકણાં ગંધાણાં….રે માના ગરબામાં

પાંચમીએ ખોલ્યાતાં બિયરના બાર

ક્યાંય ભાળોના પરસાદી ભાણાં….

છઠ્ઠીએ ગભરૂઓ છેતરાણી સાવ

પછી લાગણીના જાળાં ગુંચવાણાં….રે માના ગરબામાં

સાતમીએ તોડ્યાતાં સપ્તકનાં તાર

સૂર ઘોંઘાટી કાનમાં ઘોળાણાં….

આઠમી અડપલાંના રૂપે અથડાય

કેમ મૂંગા છે સમજુ ને શાણાં….રે માના ગરબામાં

નવમી નચાવતીતી નફ્ફટીયા નાચ

બધે બેશરમી ટોળા ઉભરાણાં

દસમી ગોળીએ હણ્યાં રામનાં રખોપા

જીવ સહુનાં પડીકડે બંધાણાં….રે મના ગરબામાં

ખેલૈયા ખેલંતા ખેલ ભાતભાતનાં ને

ભક્તો તો સાવ રે નિમાણાં

માતાજી કરજે સંહાર તુ અસૂર તણો

ખાશું સૌ ગોળ અને ધાણાં….રે માના ગરબામાં

…………………………………

આભાર ડૉ.જગદીપ નાણાવટી

3 Responses to “નવરાત્રિનો શુભારંભ… માનો “ગરબો”…..ડૉ.જગદીપ નાણાવટી”

  1. Bina Says:

    મા જગદંબાની ભક્તિનું એક અભૂતપૂર્વ પર્વ છે, નવરાત્રિ. ખુબ શુભકામના, જય શ્રી અમ્બે!
    આશા રાખું છું કે આપ પણ મારા બ્લોગની મુલાકાત લેશો અને માંની આરાધનામાં સહભાગી થશો.
    http://binatrivedi.wordpress.com/

  2. jayeshupadhyaya Says:

    નવરાત્રી ની ખુબ ખુબ શુભકામનાઓ

  3. Ramesh Patel Says:

    મા જગદંબાને એક જ અરજ કે તેમના ભક્તોમાં રહેલા અવગુણો દૂર કરી તેઓ સદમાર્ગે ચાલે અને નવરાત્રીના ગરબા , મા જગદંબાની ભક્તિનું પણ એક અભૂતપૂર્વ પર્વ બની રહે.

    નવરાત્રી ની ખુબ ખુબ શુભકામનાઓ

    Ramesh Patel(Aakashdeep)

Leave a Reply